અમદાવાદ વારતા શિબિર-૬ : ૨૯ એપ્રિલ ૨૦૧૮, સ્ક્રેપયાર્ડ, પાલડી.
x
કેટલાક ‘વાર્તા’ અનુભવ સાથે હું એક વાગ્યે સ્ક્રેપ યાર્ડ પહોંચી. રાહ જોવાઈ રહી હતી જામેલી મહેફિલમાં. લાગ્યું કે મારું નામ 'ગઝલ' હોય તોય ચાલી જાય. રંગીન પીણું પણ હતું ખોટ પૂરી કરવા. કિશોરભાઈને
મળવાની
ઉત્સુકતા હતી. એટલે ‘સૅટ' થયાના
પહેલા શ્વાસ સાથે તેમને 'હલો' કરી લીધું.
માર્ચ’૧૮ની શિબિરમાં હાજર મિત્રોને રામદાસવાળી વાર્તાની યાદ રહી
હોય તેવી રજુ કરવા સુત્રધારે સુચવ્યું. વાતાવરણમાં પૂરતી
તત્પરતા ના જણાતાં રાજુએ 'હિન્ટ' આપી. ચેતને દોર પકડી વાર્તા
કહી :
શિબિરમાં રજુ થયેલી કથા આ પ્રમાણે છે :
રામદાસ એક વિખ્યાત
રામ કથાકાર હતાં. કથાકાર
તરીકે એમની ખ્યાતિ
સ્વર્ગલોક સુધી પહોંચેલી. એક
વાર હનુમાનને રામદાસની રામકથા સાંભળવા મન થયું અને કામળી ઓઢી ગામવાળાઓ વચ્ચે મ્હોં
છુપાવી એ પણ રામકથા સાંભળવા માંડ્યા. રામદાસની
કથા કહેવાની શૈલીથી હનુમાન
બહુ ખુશ થયા. કથા ચાલતી હતી,
એમાં
હનુમાન અશોક વાટિકામાં આવી સીતાને રામનો સંદેશ આપે છે એ પ્રસન્ગ આવ્યો.
હનુમાન
ટટ્ટાર થયા - આતો એમનો સીન હતો!
રામદાસે
હનુમાન અશોક વાટિકામાં પ્રવેશ્યા એ ક્ષણનું વર્ણન કરતા કહ્યું કે “
હનુમાન પ્રવેશ્યા ત્યારે અશોક વાટિકામાં સફેદ રંગના ફૂલ ખીલ્યા હતાં…” આ સાંભળી
હનુમાનને આશ્ચર્ય થયું કેમ કે એમને યાદ હતું કે એ પ્રવેશેલા ત્યારે અશોક વાટિકામાં
ફક્ત
લાલ રંગના ફૂલો હતાં, સફેદ
રંગનું તો કોઈ ફૂલ જ નહોતું. એમને
કથામાં આ સુધારણા કરવી જોઈએ એમ લાગતાં બૂમ પાડી કહ્યું “ મહારાજ બાકી બધું
બરાબર પણ અશોક વાટિકામાં ત્યારે સફેદ નહીં લાલ રંગના ફૂલ હતાં-”
રામદાસ આવા કોઈ સુધારા માટે તૈયાર
નહોતા કેમ કે એ મક્કમ હતાં કે ફૂલ સફેદ રંગના હતાં, એમણે
કથામાં આમ વચ્ચે
વિક્ષેપ ન કરવાની સૂચના આપી. પણ હનુમાન આમ
ખોટી માહિતી સાથે કથા વધે એ ઠીક નહોતા માનતા આથી એમણે ફૂલોનો રંગ લાલ હતો એ બાબત આગ્રહ ચાલુ રાખ્યો. રામદાસે અકળાઈને પૂછ્યું કે “ કથા હું કરું છું કે તું ? તું છે
કોણ મારી કથામાં સુધારો કરનાર ? “ હનુમાન લો
પ્રોફાઈલમાં રહી સુધારણા કરાવવા માંગતા હતા પણ વાત “ તું કોણ ?” પર આવી જતાં એમણે પોતાની ઓળખ આપવું મુનાસીબ માની ઉભા થઇ કહ્યું “ હું હનુમાન પોતે છું અને મને બરાબર યાદ છે કે હું
અશોક વાટિકામાં પ્રવેશ્યો ત્યારે કોઈ ફૂલ સફેદ રંગનું નહોતું “
આમ તો આ વિવાદ અહીં પતી જવો જોઈએ
પણ રામદાસ હજી પણ મક્કમ જ હતાં, એમણે પોતાની વાત
પકડી
રાખતાં કહ્યું “ તમે હનુમાન હોવ તેથી શું..? ફૂલો
સફેદ રંગના હતાં એ જ સત્ય છે”
હવે તો હનુમાન ને થયું કે હદ થઇ
ગઈ ! મારી વાતમાં પણ મારી વાત માનવામાં ન આવે એ ક્યાંનો ન્યાય ? વિવાદ વકર્યો
અને આખરે વિવાદના સમાધાન માટે એ બંને ભગવાન રામ સુધી પહોંચી ગયા।. ભગવાન રામે બંનેને શાંત પાડી કહ્યું કે “ફૂલ લાલ પણ હતા અને સફેદ પણ - ન રામદાસ ખોટા છે ન હનુમાન !”
આ સાંભળી બંને નવાઈ પામ્યા. ફૂલ કાં સફેદ હોય કાં લાલ હોય ! એક જ
સમયે બે જુદા રંગના તો ન જ હોઈ શકે ?
“ હતાં -”
રામે સ્પષ્ટતા કરી “ ફૂલ સફેદ
રંગના હતાં પણ હનુમાન જ્યારે અશોકવાટિકામાં પ્રવેશ્યા ત્યારે તે ખુબ ક્રોધમાં હતાં , ક્રોધને કારણે
એમની આંખોમાં લોહી ધસી આવ્યું હતું અને તેથી તેમને સફેદ ફૂલ લાલ દેખાય હતાં”
અને આમ આ વિવાદ બંનેના ખરાંપણા
સાથે વીરમ્યો.
આ વાર્તા તંતુમાં સંકેતે
પૂર્તતા કરી. રાજુ એ કહ્યું, ફુલના રંગ વિશે ખુબ બધી ઉત્સુકતા ઊભી કર્યા પછી અહીં વાર્તાકાર કહે છે, “ડૉન્ટ બી ફૂલ
ઓવર આ ફુલ! ક્યાં રખ્ખા હૈ! તું મજા જો.” સુત્રધારે ઉમેર્યું કે આ ઘટના તીરોધાન. વ્રજેશે 'તીરોધાન' શબ્દની કોશીય વ્યાખ્યા આપી. તે સંદર્ભે રાજુએ શબ્દશઃ
વ્યાખ્યા આપતાં કહ્યું, “ સફરજનને
એવી રીતે તીર મારવામાં આવે કે તેના ફૂરચા ઉડી જાય, આ તીરોધાન.” આ સાંભળી મારા ચિત્તમાં સમાંતર બે પ્રક્રિયા થઈ :૧) સમજ કેળવવા જરુરી રસાયણોનો
સ્ત્રાવ કરનારી બની .સ્વિચો એકસામટી ઈન
મોડમાં આવી ગઈ અને બત્રીસે કોઠે દિવાળી થઈ.૨) દ્રોપદીને વરવા અર્જને તીર
માર્યું હતું તે દ્રશ્ય ચિત્તમાં ભજવાઈ ગયું. એક ફેર સાથે. માછલીને બદલે મને સફરજન દેખાયું. રામદાસની વાર્તા એમ આગળ વધે છે કે રામદાસે કહ્યું કે ” હનુમાનની આંખો ગુસ્સાથી લાલ હતી
અને કથાકાર તરીકે હું એ આંખથી જોઉં એટલે મને સફેદ દેખાય.” આ વાર્તા વિસ્તાર ફરી ફરી ઘટનાના તીરોધાન અને સર્જકના વટને જ પુનરાવર્તિત કરે છે.
અહીં ઘટના છે એક અનોખી સ્થિતિ : કથા કહેનાર સાચો કે કથાનું પાત્ર ? બન્નેનું અવલોકન ફૂલના રંગ વિષે ભિન્ન છે.
સામાન્ય રીતે તો કોઈનો અનુભવ વર્ણવનાર કરતા જે અનુભવે છે તે વધુ સાચો હોય પણ અહીં કથાકાર રામદાસ નમતું જોખવા તૈયાર નથી.વાત ખુદ રામ સુધી જાય છે.
અર્થાત અહીં સુધી અધોરેખિત થયેલી ઘટના કે પ્રશ્ન છે : ફૂલોનો અસલ રંગ શું હશે ?
રામનો ઉત્તર આખી વાતનું તિરોધાન કરી દે છે. બન્ને માંથી કોઈ એક સાચું હોત અને અન્ય ખોટું હોત તો = આ એક અનન્ય ઘટના બની હોત પણ જે બને છે તે સાચા -ખોટાને પાર જાય છે - અચાનક ફૂલનો રંગ મૂળે શું હતો એ માહિતી બિનમહત્વની બની જાય છે. આમ એક ઘટનાનું સુચારુ આલેખન અને ત્યાર બાદ કથાની પરાકાષ્ઠામાં તે ઘટનાનું ‘વિખેરાઈ’ જવું અથવા ‘ ફુરચા ઉડી જવા ‘ એ તિરોધાન જ થયું ને ?
વિશેષ ઉમેરણ સાથે રાજુએ
દોહરાવ્યું કે રામદાસવાળી વાર્તામાં ફૂલના
રંગનું મહત્વ ચગાવ્યા પછી એ જ બાબતના ફૂરચા ઉડાડી દેવાયા છે.(મારે કોઠે ફરી દિવાળી. આ લખું
છું ત્યારે સમજાય છે કે મને વારેઘડીએ ગરમીની લહેર કેમ અનુભવાતી હતી!
;-p ) પુનરાવર્તન કરાવતા રાજુએ કહ્યું કે રૅસીપી ક્યારેય ઈન્ટરેસ્ટીગ
નથી
હોતી. પટ્ દઈ પ્રદેશે રી-માઈન્ડ
કરાવ્યું કે “વી આર ઈન કુકીગ બીઝનેસ. વી હૅવ
ટુ નો ધીસ. નૉન ઈન્ટરેસ્ટીગ
સ્ટફ.”
આ તબક્કે મને લાગ્યું કે
તીરોધાનવાળી વાર્તામાં ઘટના બૅકગ્રાઉન્ડ સ્કોર અથવા વૉલપેપર છે.
જેમ અહેવાલ લેખન છાયા ઉપાધ્યાય પર તેમ વાર્તા પઠન સંકેતકર્મ થઈ
ગયેલ. સંકેતને ફરી ફરી એ પ્રકારનો કાર્યકર્તા ‘બનાવી' દેવા અંગે
રાજુને સુત્રધારીતાના નાતે શિક્ષકસંકોચ થયો. એવો
જ સંકોચ, કદાચ , અહેવાલ
લેખન બારામાં તેઓ અનુભવી રહ્યાનુ ધારવું અનુકુળ જણાય છે. અત્રે ઉપરોક્ત બે વિધાનો વડે અહેવાલકર્મી શું કહેવા
ઇચ્છે છે તે પ્રશ્ન ગૌણ હોવાથી ત્યાજ્ય ના સહી, ઉપેક્ષીય
છે.
વારુ, આગળના ઉપક્રમ તરીકે, વાર્તા પઠન. તે
માટે રાજુએ કાન્તિ પટેલની 'પડવું' વાર્તા પસંદ કરી હતી. કિશોરભાઈથી શરું કરીને મિત્રો
ક્રમશઃ એક એક ફકરો વાંચતા ગયા. વચ્ચે
વચ્ચે ચમત્કૃતિજન્ય દબાયેલા હાસ્ય અને હોંકારા બૅકગ્રાઉન્ડ ભરતા ગયા. વાર્તા પુરી થયે …
છાયા : એક ઘટના ઘટી છે તેના
અંગે નાકની દાંડીએ વિચારવાને બદલે લેખકના અનુભવ વિશ્વના વિચાર- વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, ભાષા
વગેરે વચ્ચે આવે છે. કોઈ નદીના મુખ્ય
પ્રવાહમાં ભળતી ઉપનદીઓ જેવું.
વ્રજેશ :
સુનિલ : કશું
સમજાયું નહીં.
સંકેત : બુદ્ધિશાળી
વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ માટે બુદ્ધિને એરણે ચઢાવે, કસે, ચોપાસથી તપાસે અને એમ કર્યા પછી અનુભવે કે કશું હાથ નથી લાગતું. (મારે
દિવાળી વેવ.)
છાયા : દળી દળીને ઢાંકણીમાં.
કિશોરભાઈ : આખી
વાત વ્યંજનામાં છે. (?)
ચેતન : (?)
પાર્થ : (?)
કિશોરભાઈ જોડે બેઠેલ ભાઈ : (?)
ચાંદની :(?)
…. “ ઍક્ઝીસ્ટેન્શીયલ નોશીયા. અધ્ધરતાલ. ત્રિશંકુ
અવસ્થા.” (છાયાચિત્તની લાઈટ્યુ.)
રાજુએ છેલ્લી ટિપ્પણી ઉમેરતા પહેલા પશ્ચાદભૂ તૈયાર કરતા કહ્યું કે
“કાન્તિ પટેલ મારા ગુરુ છે. સાહિત્ય
અંગેની
મારી સમજ અને પ્રવૃત્તિઓમાં
તેમનો ફાળો છે.” ઘટના તિરોધાનના સાહિત્યીક ઈતિહાસની વાત માંડતા
રાજુએ કહ્યું કે સુરેશ જોશીની અગવાઈ હેઠળ ખાસુ કામ થયું.પણ, એ સ્તર બધા ના જાળવી
શક્યા. તેને
કારણે વાર્તાઓની લોકપ્રિયતા ઘટી. તેનો
આરોપ સુ.જો.આણી મંડળી પર મૂકાયો. સર્જક એકધારી રીતથી અકળાય અને નવી રીત અજમાવે. તે
રીતે સફળ થાય અથવા સર્જક ઊંધે માથે પટકાય. આ
ઊંધે માથે પટકાયાની
ઘટનાનું ઐતિહાસિક મૂલ્ય છે, વિજ્ઞાનની
પ્રયોગ નિષ્ફળતા જેવું. ઘટના
તિરોધાનની સાહિત્યીક ઘટના
પછડાઈ નહીં પણ લોકપ્રિય ના થઈ. સુ.જો.નુ પ્રદાન એટલું બહોળું
છે કે રાજુએ કહ્યું કે વાર્તા પઠન માટે તેમની વાર્તા ટાળી, કેમકે
સુ.જો. એક શિબિર જેટલી ઘટના તો
છે જ. રાજુએ ઉમેર્યું :’પડવું' વાર્તા કાન્તિ પટેલનો જવાબ છે જેઓને ઘટના વગર વાર્તા અશક્ય
લાગે છે. વાર્તાના જરુરી એ માની લેવાયેલા પાસાં જેમકે ઘટના, ચમત્કૃતિ, સાર્થક
અંત વગેરેને છેવટે નકામી ઠેરવી બતાવી એક અફલાતૂન વાર્તા રચી બતાવે છે.
‘પડવું
‘ વારતામાં સાત હજાર ફૂટની ઊંચાઈથી પડેલ એક વ્યક્તિ ના પડવાની ઘટના વિષે શક્ય અને સંભવિત દરેક પાસાં ની લેખકે માંડણી કરી અંતે સૂચવ્યું કે “ધારો કે આ પડવાની ઘટના ઘટી જ ન હોય “અથવા“ ધારો કે હું આ વાત જ પડતી મૂકી દઉં - કોઈ ચોક્કસ નિષ્કર્ષ વિના “ તો ?
આપણી માન્યતા, આપણી વાતો અને આપણો વિશ્વાસ કેટલાં તકલાદી / નાજુક અને
કેટલીક વાર બિન પાયાદાર મુદ્દાઓ પર આધાર રાખતો હોય છે એ આડકતરી રીતે આ વારતામાં સૂચવાય છે અને છેલ્લે 'પડવું' એ મૂળ ઘટના જ વિલીન થઇ શકે એ કલ્પના મૂકી છે. આમ મૂળ મુદ્દાનું છેદાઈ જવું એ ઘટનાનું તિરોધાન થયું.
બ્રેક દરમ્યાન એફ.બી. પર ખેલાયેલા ધિંગાણા, એસીડિટીની
અસરો, કારણો, ઉપાયો, આસ્તિકતા- નાસ્તિકતા અને રાજકારણ પર છૂટક વાતો થઈ.
આઈસ્ક્રીમ સહિતના બ્રેક પછી ચાંદનીએ પોતાની વાર્તા વાંચી. શિબીરાર્થીઓએ નવોદિત હતોત્સાહ ના થાય તેવા ભાવથી સૌમ્ય
ટિપ્પણી કરી. વ્રજેશે કોઈ ટિપ્પણી ના કરી. રાજુએ
જ્યારે પ્રેમથી વાર્તાના છોતરાં કાઢ્યા ત્યારે વ્રજેશ ઉવાચ : હું
જે ના બોલ્યો તે આ બધું. ચાંદની
જો કે આ ગૃપની પારસી સાબિત થઈ. તેની ખેલદિલી
નોંધપાત્ર રહી.
આ પછીનો મંચ કિશોરભાઈને હવાલે થયો. કિશોરભાઈએ
પોતાના સર્જનકર્મની રુપરેખા આપી. વાર્તા, નાટક,નવલકથા, સામાજિક
કાર્યકર પિતાના જીવનકાર્યનુ સંકલન, કટાર
લેખન, પત્રકારત્વ, ચૅસમા ઈન્ટરનેશનલ
રેંકિંગ, યોગ શિક્ષણ…બોલતાં હાંફી જવાય એટલા ક્ષેત્રોમાં કામ કરેલું છે
તેમણે. આજની શિબિર માટે ય શૉર્ટ ટર્મ નૉટીસ પછી તેઓ નૉટ્સ લઈને આવેલા. તે નૉટનો વિસ્તૃત લેખ તેમણે આ ગૃપની વૉલ પર મુકેલ
છે. તેમની રજુઆત (દરમ્યાન
મારી દિવાળીનો હીટ વેવ આવતો રહ્યો.) અંગે આ
મુજબ ચર્ચા થઈ.
-વ્રજેશ : પાત્ર
વગર વાર્તા ના બને તો ટેબલ પરથી વાર્તા કંઈ રીતે બને?
સામુહિક ચર્ચા સુર : પાત્ર
એટલે સજીવ એમ નહીં.
-છાયા : એકસાથે ઘણીબધી વ્યાખ્યા
જોવાનો ફાયદો એ કે બહોળી વ્યાખ્યા મળે.
ફિલ્મ જોઈ તેના પર ચર્ચા કરવાનો સમય રહ્યો નહીં.એમ ફેરવાયું કે લીંક શૅર કરી દેવી. ફિલ્મ
ઘરેથી જોઈને આવવાની
અને આગામી શિબિરમાં
તેની ચર્ચા કરવાની.
ઘટના તિરોધાન અંગે જે ચર્ચા થઈ તેને કિશોરભાઈએ વખાણી. રાજુએ પણ અપેક્ષા કરતાં વધુ સઘન ચર્ચા થયાનો આનંદ વ્યક્ત કર્યો.
ચાના છેલ્લા કટ બાદ સહુ છુટા પડ્યા.
#####
આંખે દેખ્યો રસપૂર્ણ અહેવાલ. Job done very well, છાયાજી, આભાર અને અભિનંદન.��
ReplyDeleteછાયાની છાયા શિતળ લાગી.
ReplyDeleteવાર્તાના શિલ્પ,સ્વરૂપ અને ઘટના તિરોધાનની વાતો ગમી...
ReplyDelete